Sunday, January 12, 2025



પોતાનામાં વિશ્વાસ એટલે આત્મવિશ્વાસ 

                                                        માનવી  જે પળે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવે છે એ પળથી એની શારીરિક અને  માનસિક પડતી શરુ થઇ જાય છે. આત્મવિશ્વાસ  ગુમાવવાથી  માણસમાં એક ડર દાખલ થઇ જાય છે કે જીવનમાં એ કઈ પણ કરી શકશે નહિ.  અને ડર એ દુનિયામાં માનવીઓ માટે મોટો દુશ્મન બની રહે છે. વિશ્વમાં ડરને કારણે   જ મોટા દુષણો પોષાય રહ્યા છે. ટૂંકમાં આત્મવિશ્વાસ રહિત મનુષ્યોને ધનવાન અને સત્તાવાન લોકો શોષણ કરતા રહ્યા છે. 

                                                       આત્મવિશ્વાસ ધરાવનાર લોકો માટે આ જગતમાં કોઈ પણ વસ્તુ અશક્ય નથી. વિશ્વના ધનિક સાહસીક એલન  મસ્ક માટે કહેવાય છેકે એને આદત છે કે એ એવી વસ્તુઓ પર કામ કરે છે કે બીજા એને અશક્ય  વસ્તુ સમજે છે.  આથી જેનામાં મજબૂત ઇચ્છાશક્તિ હોય છે એજ સાહસિક બને છે. 

                                                       અબ્રાહમ લિંકન એ અમેરિકામાંથી રંગભેદ નાબૂદ કરવાનું બીડું ઝડપ્યુ જે વખતમાં અમેરિકામાં  અશક્ય હતું . દક્ષિણ અમેરિકાના રાજ્યોમાં એની સામે સખત વિરિદ્ધ હતો કારણકે એમની માન્યતા અને આર્થિક કારણો પણ જવાબદાર હતા . માઈલો અને માઈલો સુધી પથરાયેલા ખેતરોમાં ગોરાઓ કાળા આફ્રિકનોનું ગુલામ બનાવી શોષણ કરતા હતા. એમના માટે એ ગુલામોને છુટા કરવા એ એક મોટું નુકશાન હતું. દક્ષિણના રાજ્યો મધ્યસ્થ સરકારની સામે થઇ ગયા હતા. અમેરિકાના અસ્થિત્વનો સવાલ હતો. પરંતુ લિંકનમાં આત્મવિશ્વાસ હતો અને એમણે આંતર યુદ્ધના ભોગે પણ પણ ગુલામી પ્રથા નાબૂદ કરી. તે જમાનામાં ગુલામી પ્રથા નાબૂદ કરાવી મુશ્કેલ પ્રશ્ન હતો . આજ બતાવે છેકે માણસે પોતાની શક્તિને ઓછી ન આંકવી જોઈએ  પરંતુ એના માટે આત્મવિશ્વાસની  જરૂર હોય છે.

                                                    શિવાજીએ  અતિ બળવાન મોગલ સલ્તનત સામે યુદ્ધ આદર્યું  તેના માટે તેમનો સંકલ્પ  જવાબદાર હતો . એમણે અશક્યને એમના આત્મવિશ્વાસ દ્વારા જ  સિદ્ધ કરીને બતાવ્યું હતું. ઘણીવાર આત્મવિસ્વાસ  માનવીના શારીરિક શક્તિ કરતા પ્રબળ માનસિક શક્તિ પર આધારિત હોય છે.

                                                    ગાંધીજીને અહિંસા પર પૂર્ણ  વિશ્વાસ હતો સાથે એમનો આત્મવિશ્વાસ હતો કે તેઓ એના વડે જ ભારતને આઝાદી અપાવશે  જયારે ક્રાંતિકારીઓ , ઉગ્રવાદીઓ અને સામ્યવાદીઓને એમાં બહુ વિશ્વાસ ન હતો . તે છતાં ગાંધીજીએ ભારતને આઝાદી અપાવી એમ બહુમત લોકો માને છે.  હું મારા ઉદ્દેશને સિદ્ધ કરી બતાવીશ  એમ માનવું એ  એક આત્મવિશ્વાસનો ઉત્તમ નમૂનો છે. 

                                                     આમ આત્મ વિશ્વાસ એક એવો વિચાર આપે છેકે એવી કોઈ પણ સમસ્યા નથી કે જેનો ઉકેલ ન હોય કારણકે ઉકેલ તમે ધારો એના કરતા સરળ હોય છે. અશક્ય પણ પ્રયત્નો દ્વારાજ શક્ય બની શકે છે.

                                         **********************************   

                                                       

                 

No comments:

Post a Comment