Wednesday, September 3, 2025

 


સિનિયર નાગરિકો 

                                  આજકાલ  વયસ્થ નાગરિકો વિષે  દુનિયાભરમાં ચર્ચાઓ ચાલી રહી છે. એમના સ્વાસ્થ્ય , એમના જીવનને સરળ અને સુખી બનાવવા માટે પણ સમાજ જાગૃત છે. તેઉપરાંત વિશ્વના ઘણા રાષ્ટ્રો વૃદ્ધ થઇ રહ્યા છે એટલેકે જન્મ  આંકડાઓ ઓછા થઇ રહ્યા છે અને વૃદ્ધોનો આંકડો વધી રહ્યો છે.

                                 એમાં જાપાન , ચીન , અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રોમાં પણ વૃદ્ધોની સંખ્યા વધી રહી છે એ આર્થિક રીતે ચિંતાનો વિષય છે.  એમાં નિવૃત્તિનો સમય કેવી રીતે પસાર કરવાનો એમાં પણ વિવાદ છે. ઘણા એવું સમજેછેકે નિવૃત્તિ એટલે ખાઈ પી ને મઝા કરવાની. પરંતુ એ પ્રવૃત્તિ લાંબા ગાળે માનસિક અને શારીરિક મુશ્કેલી ઉભી કરે છે.  એટલા માટે નિવૃત્તિનો સમય ગાળવો મુશ્કેલ છે જો તેના માટે યોગ્ય યોજના ન બનાવી હોય.

                                જાપાનમાં, કે પછી અમેરિકા જેવા દેશોમાં વૃદ્ધો મોટી ઉંમર સુધી નાના મોટા કામો કરી  સમય વિતાવે છે. એટલેકે સમૃદ્ધ દેશોમાં એ સમસ્યાને અનુકૂળ રીતે સિદ્ધ કરવામાં  આવીછે. પરંતુ  ભારત અને બીજા રૂઢિચુસ્ત દેશોમાં આ સમસ્યા વિકટ થતી જાય છે. કારણકે આર્થિક સ્થિતિ બળતી જાય છે. સંયુક્ત કુટુંબો તૂટતાં જાય છે અને વૃદ્ધ માબાપો દયામય સ્થિતિ માં આવી પડે છે અને ઘણા આવી પડેલા છે.  વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે.

                             આવી પરિસ્થિતિમાં સરકારો પણ હવે સંચિત  બની છે. અને વૃદ્ધો માટે સહાયક યોજનાઓ બનાવી રહી છે. એમાં વૃદ્ધો  માટે યુવા વસ્તીને કેટલું માન છે એના પર આધાર રહે છે. જો કેટલાક વૃદ્ધોને વપરાઈ ગયેલી શક્તિ માની એની ઉપેક્ષા કરે તો વૃદ્ધોને સ્થિતિ વિષમ બને છે. પરંતુ કેટલાક પશ્ચિમી દેશોમાં વૃદ્ધોને દેશની સમૃદ્ધિમાં પાયારૂપ માનવામાં આવે છે. એટલા માટે  તેમને દરેક જાતની સહાય આપી એમના જીવનને સુખમય બનાવે છે. એનાથી વૃદ્ધોનું  સન્માન પણ વધે છે. વૃદ્ધોના જીવન અનુભવોનો પણ યુવા પેઢી લાભ લઇ શકે છે.



                           વૃદ્ધોને અપાતી સગવડોનો સદુપયોગ પણ થવો જોઈએ. પશ્ચિમના દેશોમાં બધી સગવડો સાથે ના વૃધ્ધાશ્રયો બનાવેલા છે પરંતુ વૃદ્ધો એમની યુવાનીની ટેવો  પ્રમાણે  સેક્સ ,ડ્રગ  એવી અનેક પ્રવૃતિઓ ચાલુ રાખે છે. એ શરીર માટે નુકશાન કારક પણ નીવડે છે. ઇંગ્લેન્ડ જેવા દેશમાં ૬૫ ની ઉપ્પરના  ઘણા  લોકો  ભયજનક રોગોના ભોગ બન્યા છે. અને તેઓ સામાજિક સમસ્યાઓ ઉભી કરી રહ્યા છે. એમાં વૃદ્ધોને અપાતી સગવડોનો દુરુપયોગ પણ કદાચ જવાબદાર હોઈ શકે ?



                           ટૂંકમાં વૃદ્ધોના અનુભવો પ્રમાણે સરકારે એનો ઉપયોગ લોકઉપયોગી કામો માટે કરવો જોઈએ  જેથી તેઓ એમનો સમય યોગ્ય રીતે પસાર કરે. કામ વગરના વૃદ્ધો સમાજ અને દેશ માટે પણ સમસ્યા બને તો એમાં નવાઈ પામવા જેવું નથી.

                            ******************************************* 

                          



Sunday, August 24, 2025

 


 આદિ માનવનું રહેઠાણ- ગુફા 

                                                                આદિ માનવીઓ હંમેશા અસલામતીમાં જીવતા. હિંસક પ્રાણીઓ અને આંતરિક લડાઈઓ એમને સતાવતી. ત્યારે  કાયદા અને વ્યવસ્થા જેવું કઈ હતુજ નહિ અને લોકોનું જીવન અસ્તિવ એમની કાબેલિયતને અને આવડત પર અવલંબિત હતી. એવા ભયજનક વાતાવરણમાં તેઓ કુદરતને ખોળે જે રક્ષણ મળતું લઈને રહેતા.

                                     એમાં એમનું રહેઠાણ ગુફાઓમાં રહેતું. ઘણીવાર તેઓ કુદરતી ગુફાઓમાં વાસ કરતા. અને જેમ જેમ એમની કલા વિકસતી ગઈ તેમ જાતે પણ પથ્થરો કોતરી  ગુફા બનાવી રહેવા માંડ્યા. જેમ સંસ્કૃતિ વિકસી તેમાં નકશીકામ અને ચિત્રકામ પણ વિકસાવ્યું. આવી ઘણી ગુફાઓ દુનિયામાં ઘણી જગાએ મળી આવી છે. આ પથ્થર યુગની વાત છે જે વખતે પથ્થરના શસ્ત્રો શિકાર કરવા અથવા નાના મોટા સંગર્ષો  પણ વપરાતા હતા. 



                                   આવી ૨૦૦૦ જેટલી ગુફાઓ જેમાં આદિ માનવો જીવતા હતા તે સ્પેઇનના ડુંગરાળ પ્રદેશમાં શોધવામાં આવી છે.  યુરોપની  સૌથી મોટામાં મોટી ગુફાની વસાહત આજે ત્યાં ૩૦૦૦ માણસોને સમાવે છે. આજે  પણ દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં સખત ગરમીથી બચવા માટે  એવી ગુફા જેવા ઘરોમાં રહે છે.

                                  આદિ માનવીઓ જ ગુફામાં રહેતા હતા એવું નથી પણ આજના યુગમાં પણ અમેરિકામાં ઉટાહ ખાતે  મોર્મોન્સ લોકો ૧૫ જેટલી ગુફામાં ઘર બનાવી રહે છે.



                                      તે ઉપરાંત ગ્રેનાડા, સ્પેઇનમાં  ગુફામાં રહેનાર લોકોએ ફલેમનકો  જેવી નૃત્ય કલાને ૫૦૦ વર્ષ પહેલા વિકસાવી હતી જે આજે જગપ્રખ્યાત  કલા બની ગઈ છે. આજે પણ સ્પેઇનમાં એવા જ વાતાવરણ વચ્ચે રાત્રીના સમયે એ નૃત્યકલાનું પ્રદર્શન કરવામાં આવે છે.



                                    આવી  ગુફા સંસ્કૃતિએ દુનિયાને  અનોખી કળાની પણ ભેટ આપી છે.  તે સાથે  ગુફાના ઠંડા અને આલ્હાદક વાતાવરણમાં રહેતા કેટલા તંદુરસ્ત વાતાવરણ માં રહેતા હતા અને એમાં પ્રદુષિત વાતાવરણને  સ્થાન પણ ન હતું .

                                       એમાંથી એક પ્રશ્ન ઉદ્ભવે છે.કે કોણ સુખી હતા? આદિ માનવ કે પછી આધુનિક માનવી?

                                   ***********************************

                                     

Saturday, August 16, 2025

 


ઇઝરાયેલ 

                                                      બીજા યુદ્ધ દરમિયાન  નાઝીઓને હાથે  જ્યૂઝ લોકોએ ઘણા અત્યાચારો સહન કર્યા તે અસહનીય હતા. કેટલાક જ્યૂઝોને તો ગેસ ચૅમ્બરમાં નાખીને મારી નાખવામાં આવ્યા હતા. આમ જ્યૂઝ પ્રજાએ ઘણા જુલમો સહયા હતાઅને એમના પ્રત્યે દુનિયાને સહાનુભૂતિ હતી.આમ તો જ્યૂઝ પ્રજા  આખી દુનિયામાં જઈને વસી  હતી પરંતુ હિટલરે અને નાઝી સત્તાએ એમને  વણી વણીને માર્યા હતા.  જ્યૂઝ પ્રજા જ્યાં વસી ત્યાં એમની બુદ્ધિ અને આવડતને લીધે નામના કાઢી હતી. આજે પણ દુનિયામાં નોબલ પુરસ્કાર મેળવવામાં આગળ છે. અમેરિકામાં શેર માર્કેટમાં, હોલિવુડમાં, રાજકારણમાં અને સમાજના દરેક ક્ષેત્રમાં જ્યૂઝ લોકો આગળ પડતું સ્થાન ધરાવે છે અને ઘણુંજ શક્તિશાળી જૂથ છે. એમ કહેવાય છે કે જુના સમયમાં જ્યૂઝો પેલેસ્ટાઇનમાં  રહેતા હતા પરંતુ એમને બહારના આક્રમણોકારોએ ત્યાંથી ભગાડયા હતા અને એ પ્રજા દુનિયામાં જ્યાં સ્થાન મળ્યું ત્યાં પથરાયેલા હતા. એટલેકે એમના માટે કોઈ દેશ હતો નહિ.  એમના પર થયેલ જુલમો અને એમાંથી ઉત્ત્પન થયેલી સહાનુભૂતિ એ ૧૯૪૮ માં પેલેસ્ટાઇનમાં થોડો પ્રદેશ કાઢીને અમેરિકા અને પશ્ચિમી દેશોએ ઇઝરાયેલ નામનો દેશ જ્યૂઝઓ માટે ઉભો કરવામાં આવ્યો ત્યારથી પેલસ્ટાઈનો અને બધાજ મુસ્લિમ દેશોને ઇઝરાયેલ પ્રત્યે રોસ છે કે ઇઝરાયેલ ઉભું કરીને એમની જમીન પચાવી પાડી છે. અને આજુબાજુના દેશો સાથે ઇઝરાએલનો  ટકરાવ ચાલુ રહ્યો  છે.



                                          એમાં 'હમાસ' નામની  મુસ્લિમ ત્રાસવાદી સંસ્થાએ  ઇઝરાયેલ પર હુમલો કરીને ઘણા ઇઝરાયલી નાગરિકોને મારી નાખી ૨૦૦ થી  વઘારેનું અપહરણ કરી નાખ્યું  હતું. આજ ઇઝરાયેલ માટે રોસનું કારણ બન્યું   અને એ  ઇઝરાયેલ અને ગાઝા પટ્ટી વચ્ચે યુદ્ધનું કારણ બન્યું. અને એ આજે પણ ચાલુ  છે. 

                                             ત્રાસવાદી સંસ્થાના હમાસ  દ્વારા ઇઝરાયેલ પર થયેલા  હિંસક હુમલા બાદ ઈઝરાઈલે પોતાના રક્ષણ માટેના જે પગલાં લીધા એણે ગાઝાની બરબાદી નોતરી છે. ગાઝાના રસ્તાઓ , હોસ્પિટલો ખેતીની જમીનો ,સ્કૂલો ,અને માછીમારોના  વહાણોનો પણ બોમ્બમારાથીં નાશ થયો છે. ઈઝરાઈલે હમાસ  નાગરિકો , સ્કૂલો , હોસ્પીટલોનો ઉપયોગકરી પોતાનું રક્ષણ કરેછે' એમ કહી દરેક વસ્તુઓ પર બોમ્બમારો  વર્ષાવી ગાઝાને જમીનદોસ્ત કરી નાખ્યું છે. 'ગાઝામાં ૬૦% મકાનો ,૬૨%રસ્તાઓ , ૮૪% ખેતીની જમીનો, ૮૯% સ્કૂલો , ૯૪% હોસ્પિટલો અને ૭૨% માછીમારોના વહાણો ભીષણ  બોમ્બમારામાં નાશ પામ્યા છે . આજે ગાઝા ખંડેર હાલત માં  છે. હામાસની શક્તિનો નાશ કરી નાખવામાં આવ્યો છે. તેછતાં લાગેછેકે હજુ ઇઝરાયેલનું લક્ષ્ય પૂરું થયું નથી. 

                                                         બધી  માનવાધિકારી સંસ્થાઓ , પશ્ચિમી રાષ્ટ્રો પણ તેમના પ્રજામતને લીધે ઇઝરાયેલ પર યુદ્ધવિરામ કરવા દબાણ લાવી રહ્યા છે. પરંતુ ઇઝરાયેલ યુદ્ધના ક્ષેત્રને લેબિનોન , સિરિયા , અને ઈરાન સુધી વધારી દીધું છે. એની પાછળ ઇઝરાયેલ એના અસ્તિત્વના ભયને આગળ કરી રહ્યું છે. 

                                                            અમેરિકામાં પણ જ્યૂઝ લોબી બહુજ શક્તિશાળી છે જેથી અમેરિકા ઈઝરાયેલને  શસ્ત્રોની મદદ કરી રહ્યું છે. આથી આ યુદ્ધ ક્યાં જઈને અટકશે એ એક વિકટ પ્રશ્ન છે.?

                                       *******************************************   

Monday, August 4, 2025

 


મિત્રતા 

                                           દુનિયામાં સારો મિત્ર  બહુ મુશ્કેલીથી મળે છે. અને એ નસીબદારને જ મળે  છે. સારા વખતમાં તો ઘણા આનંદ માનવા સાથે આવી જાય છે પણ એમની કસોટી તો ખરાબ અને મુશ્કેલ સમયમાં થઇ જાય છે. એટલે એક સારો મિત્ર  જીવનમાં ઉપ્પર લઇ જાય છે. જયારે ખરાબ મિત્ર જીવન બરબાદ કરી નાખે છે. 

                                         સારો મિત્ર  હંમેશા  પ્રગતિમાં પ્રોત્સાહિત  કરે છે અને મિત્રની ચઢતીમાં આનંદ માણે છે. મુશ્કેલીમાં જે તમારી સાથે રહે અને સાંત્વન પૂરું પાડે છે.  જીવનના મુશ્કેલ પ્રશ્નોમાં  ખરી અને વજૂદ સલાહ આપે છે. જોવાનું તો એ હોય છે કે કોઈ પણ લોહીનો સબંધ ન હોવા છતાં પ્રેમ વરસાવતો રહે છે.

                                            પાર્ટીઓ અને પીકનીકમાં  દિલથી આનંદ આપે અને  પ્રેમ વર્ષાવે. જે તમારા સુખમાં વધારો કરે અને દુઃખને ભૂલી જવામાં મદદ કરે.  જ્યા અગવડોમાં પડે અને જ્યાં અવગુણો મિત્રતામાં નડે એને સહન  કરી લે. જીવનમાં તમારી સાથે દૂધમાં સાકરની જેમ ભળી  જાય અને જીવન સાગરને  સુખમય બનાવી દે.

                                          જોવાનુંતો એ છે કે મિત્રનું કોઈપણ લોહીનું સગપણ હોતું નથી પણ સગાઓની જેમ જ પ્રેમ આપતો રહે. કદી પણ આ મારુ અને પેલું  તારું એનો આભાષ પણ ન થવા દે એ ખરો મિત્ર.

                                             સાચો મિત્ર હંએશાં  તમારી પ્રગતિમાં સીડીની ગરજ સારે છે. અને  જીવન માર્ગમાં હંમેશા એનો ખભો ટેકા માટે તૈયાર રાખે છે.  માંદગીમાં પણ તમને સહારો આપે  અને એમાંથી બહાર નીકળવાની  પ્રેરણા આપે .

                                           ઘણીવાર સગાઓ કરતા સારા મિત્રો વધારે મદદ રૂપ બની રહે છે. એ જીવનનું સત્ય બની રહે છે.

                                     ***************************************

                                      

Friday, July 18, 2025

 


ધન                     

                                 ઘન સર્વને માટે પોતાના આત્મસન્માન અને ગુજરાન માટે આવશ્યક છે. અતિશય ધન પ્રાપ્તિને જાળવવું અને પચાવવું પણ મુશ્કેલ હોય છે. કારણકે ધન બહુજ ચલિત હોય છે. એથી એમાંથી ઘણા અનર્થો પણ  ઉત્ત્પન થાય છે. લોકઉપયોગી કામ માટે વાપરવું એ ધનનો ઉત્તમ ઉપયોગ છે. એનો દૂરઉપયોગ  બધી જાતના અનિષ્ટો ઉભા કરે છે. ટૂંકમાં ધન મનુષ્યનો ઉદ્ધાર  કરે છે અથવા એનો નષ્ટ પણ કરે છે. 

                                  આમ તો ધનનું કોઈ રૂપ  નથી પણ સર્વને આકર્ષે છે. સાધુઓ અને સંતો જ એનાથી પર હોય છે . પરંતુ તેઓ પણ એનાથી આકર્ષે તો એમનું પતન થાય છે. તે ઉપરાંત એ કોઈ હાથ નથી પણ એનાથી કામો થઇ શકે છે . એ પગ પણ નથી પણ એનાથી બધે પહોંચી શકાય છે. એમ  કહેવાય  છેકે પૈસો બધે બોલે છે. એની પાસે કોઈ અવાજ નથી.

                                      ધનમાં કોઈ શ્વાસોશ્વાસ નથી પણ તે ઘણાને નવ જીવન આપી દે છે. જેના પર એ કૃપા કરે એને હસાવે છે પરંતુ  એના વિના ઘણા માનવીઓને  જિંદગી ભર રડાવે છે. ઘણા નસીબદાર માનવીઓ ધનથી જીવનમાં તરી જાય છે. અને કમનસીબો  બરબાદ થઇ જાય છે.



                                    ધન કોઈ ભગવાન નથી પણ લોકો એને ભજે છે. કેટલાંકતો એને ઘરમાં ભગવાનની જેમ પુંજે છે. કેટલાએ કુટુંબોના  ક્લેશો , મોટા યુદ્ધો પણ ઘન મેળવવા માટે થયા છે. અને દુનિયામાં બરબાદી   સર્જી છે. 

                                   સત્તા એટલે સંપૂર્ણ  આધિત્વ  પરંતુ એવું પણ બન્યું  છેકે  ધન સત્તાને પણ ખરીદી લીધી છે. એ અર્થમાં ધન વિશ્વમાં અજય બની શકે છે . તે છતાં ઇતિહાસ કહે છેકે  કેટલાક છાતીવાળા માનવીઓ મૂલ્યોને વળગી રહીને ધનની સામે ઝૂક્યા નથી.  પરંતુ એવા વિરલા બહુ ભાગ્યે જ જોવા મળે છે.

                          ***************************************

Saturday, July 12, 2025

 


 માનસિક બીમારી 

                                               માનવીની  આહાર ખાવાની આદતોની અસર માનવીના મગજ  પર થાય છે. માનવી  જે ખોરાક લે  છે એની અસર માનવીના મગજ  પર  ૨૪ કલાકમાં થાય છે. અમુક જાતનો ખોરાક માનવીના મગજના સમીકરણોને અવળી અસર કરે છે. ડિપ્રેસન જેવા રોગોને એની ખરાબ અસર થાય છે. અમુક જાતના ખોરાક લેવાથી ડિપ્રેસન ૧/૩ ઘણું ઓછું પણ થઇ શકે છે.

                                  મેડિટેરિઅન ખોરાક, અથવા  ઓછું ચરબીવાળો ખોરાક  અથવા  લીલા શાકભાજી , એટલેકે ફાઇબર ધરાવતો ખોરાક મગજના તંતુઓને નિયંત્રણમાં રાખી શકે છે. 



                                આંતરિક સોજાઓ પણ માનસિક બીમારી વધારી દે છે. એવા દર્દીઓ સામાન્ય ડિપ્રેસનની દવાઓની અસર થતી નથી. એવા ૩૦% ટકા માનસિક રોગી હોય છે. આથી આજકાલ માનસિક રોગીઓ માટે મગજમાંથી સોજાઓને દૂરકરવાની દવાઓનો ઉપયોગ થાય છે.

                              એમ કહેવાય છે કે ઓમેગા -૩ માછલીઓ , નટ્સ , અને હોલ ગ્રેઈનસનો ખોરાક સોજાઓને દૂરકરનારી અસર ધરાવે છે.



                           પૂરતી ઊંઘ અને આધ્યાત્મિક ધ્યાન જેવી ક્રિયા પણ માનવીના સ્વાભાવને સારો કરે છે. અને ઇન્ફ્લેમેશનની ક્રિયા ને દૂર કરવામાં મદદ રૂપ થાય છે.  મગજના તંતુઓને વધારે તંદુરસ્ત બનાવી માનવીને માનસિક રોગોથી દૂર રાખે છે.

                                   *******************************

                                   

                                

Wednesday, July 2, 2025



કુદરતને માણવાની  કળા

                                                         આજકાલ જ્યાં જુઓ ત્યાં કુદરતી આફતો વધી ગઈ છે. અધિક વરસાદ , નદીઓમાં પૂર, સાગરનું  છલકાવું , ધરતીકંપ , વાવાઝોડા , જેવી કુદરતી આફતો જ્યાં જુઓ ત્યાં  જોવા મળે છે.  એનું કારણો પણ જોવા રહ્યા .જમીનોને માનવોએ ખોદી કાઢી છે. જંગલોને કાપી નાખ્યા છે.  પાણીના વહેણને કિનારે તોતિંગ કોન્ક્રીટ જંગલો ઉભાકરી દીધા છે. શહેરોમાં પણ એવી જ પરિસ્થિતિ છે. જ્યાં  ત્યાં ઝાડો કાપીને વસાહતો કાયદેસર કે પછી ગેરકાયદેસર  ઉભી કરી દીધી છે. નદીઓમાંથી રેતી ચોરવાની પ્રવૃત્તિઓ માફિયાઓ દ્વારા ચાલી રહી છે. જમીનમાંથી ખનીજો ખોદવાની ગેરકાયદેસર  પ્રવૃતિઓ પૂર જોશમાં  ચાલી  રહી છે.  એટલેકે કુદરતને રંજાડવાની પ્રવૃતિઓ ચાલી રહી છે.  કુદરતને છેડવાની પ્રવૃતિઓ પૂર જોશમાં છે . પછી કુદરત રૂઠીને માનવોને રંજાડે એમાં નવાઈ નથી .



                                                       મોટા મોટા  ઉદ્યોગોએ પણ હવાને અને આકાશને  દુષિત કરી નાખ્યું છે. ટૂંકમાં કુદરતને માણવા કરતા મનુષ્યો એને હણવા પાછળ પડ્યા છે. એનું જ પરિણામ કુદરતી આફતો છે.  એથી ટૂંકમાં  કુદરતના સૌંદર્યને માણવો જોઈએ અને એના છેડછાડથી બને એટલા દૂર રહેવું જોઈએ. 



                                         એક કવિએ એક કાવ્યમાં લખ્યું છે.

        મારે --

        મારે  હરિયાળી ખીણોમાં રખડવું છે

       નદીઓના કોતરોમાં અને પંખીઓના કલરવોમાં 

        રમવું  છે કુદરતને ખોળે

       ત્યાં જીવનનો પરમ આનંદ  માણવો  છે મારે .

       મારે --

       મારે પવનના  શુસવાટે  થથરવું  છે 

      મેઘ અને વીજળીની જુગલબંધી જોઈને  

      જીવનનો પરમ આનંદ માણવા 

      ડુંગરોની ખીણોમાં રખડવું છે મારે 

      મારે --

      નદીઓના નિર્મળ  જળમાં ડૂબકીઓ મારવી છે 

      સાગરની લહેરો પર તરવું  છે મારે 

      જીવનનો  પરમ આનંદ માણવા 

     કુદરતને ખોળે વિહરવું છે મારે 

     મારે --

                                               

        ટૂંકમાં  માનવોએ કુદરતને છેદવા કરતા એને  માણવાની કળા ખીલવવાની  જરૂર છે જેથી બંનેનું અસ્તિત્વ સુખમય બને.

                                     *********************************