Sunday, January 17, 2021



વૃદ્ધાવસ્થા                                  

                                                  બુઝર્ગો જેઓ રાષ્ટ્રના ઘડતરમાં પોતાનો ફાળો વિવિધ ક્ષેત્રોમાં આપીને નિવૃત્ત થાય છે ત્યારે તેમની સાથે સમાજ કેવો વ્યહવાર  કરે છે એના પર માટે  સમાજનું મૂલ્યાંકન થાય છે.  બુઝર્ગોનું સમાજ કેટલું સન્માન કરેછે અને સગવડો આપીને એમની નિવૃત્ત જીવન  સરળ બનાવે એના પર જ સમાજની સંસ્કૃતિનો ખ્યાલ આવે છે.  દુનિયામાં વૃદ્ધોનું જીવન ધારીએ એટલું સરળ નથી  એમાં સમાજની  એને મદદ  અને સહાનુભૂતિ  આવશ્યક છે. 

                                                  પશ્ચિમી સમાજમાં વૃદ્ધોને યોગ્ય માન અને સ્થાન આપવામાં આવે  છે. એમના માટે જુદી બેઠકો, વિકલાંગ બુઝર્ગો માટે જુદી વ્યવસ્થાઓ, એમના માટે  અમુક દિવસોએ ઓછા ભાવથી વેચાણોની વ્યવસ્થા કરવામાં આવે છે. રેલવે/ વિમાન પ્રવાસમાં  અને સિનેમામાં પણ ઓછી કિંમતે ટિકિટો  આપી એમના જીવનને હળવું બનાવવામાં આવે છે.  એમને ઉત્તમ મેડિકલ સગવડો એમની આવક પ્રમાણે  પુરી પાડવામાં આવે છે .  વાહન ધારકો માટે પણ બુઝર્ગોને લાગતા ઉત્તમ નીતિ નિયમો બનાવ્યા છે.  જ્યારે બુઝર્ગો રસ્તા પરથી પસાર થતા હોય તો વાહનો તેમનાથી દૂર રાખવાના નિયમો બનાવવામાં આવ્યા છે.  આ રીતે રાષ્ટ્ર અને સમાજ પ્રત્યેનું  એમનું  ઋણ અદા કરવામાં આવે છે. સામાજિક સમારંભો એમને અગત્યનું સ્થાન પણ આપવામાં આવે છે. સરકાર એમની ફરિયાદોને  મહત્વ  આપેછે . એમના માટે જુદા જુદા  કમિશનો બનાવવામાં આવ્યા છે જે એમની શારીરિક , આર્થિક જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. પરંતુ એમાં એકજ ઉણપ છેકે વૃદ્ધાવસ્થામાં વૃદ્ધોની  નાજુક  લાગણીઓની ઘણીવાર અવગણના થતી હોય છે.  એમાં સમાજની આર્થિક અને કુટુમ્બીક વ્યવસ્થા જવાબદાર બની રહે છે. ઘણીવાર બધી સગવડો સાથે બુઝર્ગોની સ્થિતિ મશીન સમાન બની રહે છે. કુટુંબીજનો તરફથી  એમની  ઈમોશનલ જરૂરિયાતઓ સમયને  અભાવે સંતોષાતી નથી. એજ ભૌતિક સમાજની કમનસીબી છે.  વૃદ્ધ અવસ્થામાં ઘણીવાર આર્થિક સાથે પ્રેમ અને કુટુમ્બીક કાળજીની પણ જરૂરિયાત હોય છે. આજ પશ્ચિમી સંસ્કૃતિની કમી છે.

                                                  પૂર્વની   સંસ્કૃતિમાં સયુંકત કુટુંબ પ્રથાએ એક સમયે વૃદ્ધોની સ્થિતિ સારી  હતી.  એમનું  સમાજમાં માન દરજ્જો જળવાઈ રહેતો હતો . એમના જીવનના અનુભવો અને જ્ઞાનનો ઉપયોગ કુટુંબમાં ઉપયોગમાં લેવાતો. ભારત, ચીન અને જાપાન જેવા દેશોમાં સમાન સંસ્કૃતિ અને સંજોગો પ્રવર્તતા હતા   પરંતુ દેશોની  ભૌતિક  પ્રગતિએ અને ઉદ્યોગીકરણે  માનવી પોતાની જાત અને પોતાના કુટુંબને મહત્વ આપવા માંડયું અને સંયુક્ત કુટુંબ તૂટવા મંડાતા કુટુંબોમાં વૃદ્ધોની પરિસ્થિતિ વિપરીત થવા માંડી. કુટુંબોમાં એમનું માન ઓછું થવા માંડયું  અને એમને કુટુંબમાં એક બોજા સમાન કેટલાક લોકો માનવા લાગ્યા . આથી આજે ઘરડા ઘરો વૃદ્ધોથી ઉભરાવા માંડ્યા છે .અને ઘણા વૃદ્ધોની હાલત ખરાબ બની રહી છે. હવે સરકાર અને સમાજ વૃદ્ધો માટે જાત જાતની નાણાકીય સહાય  અને કાયદાઓ બનાવી રાહત આપવા  પ્રયત્નશીલ છે  પરંતુ કુટુમ્બીક લાગણી અને પ્રેમ  જેવી  રાહત આવી ભૌતિક વસ્તુઓ વૃદ્ધોને  વૃદ્ધાવસ્થામાં આપી શકે નહીં . ઘણીવાર વૃદ્ધોની અવગણના કરવામાં પણ આવે છે.  ઘણા સભારંભોમાં એમને અલગ પાડી એમને દૂર પણ રાખવામાં આવે છે. કેટલીક યુવા વસ્તી એમને વપરાઈ ગયેલી શક્તિ સમજી એમની અવગણના પણ કરે છે.  એ લોકો એ પણ ભૂલી જાય છે કે એક દિવસે તેઓ પણ વૃદ્ધાવસ્થામાં પહોંચવાના છે.  આ સમાજની એક કમનસીબી જ ગણાય.

                                                      વૃદ્ધો વિષે જે સર્વેના આંકડા  જોઈએ તો  વૃદ્ધોની બેહાલી સમજી શકાય છે.  સર્વે કહેછે કે ૫૦%વૃદ્ધોને જમવા જુદા બેસાડાય છે. ૨૦% ને સગવડો હોવા છતાં ઘરના લોકોથી અલગ રખાય છે. ૯૦%પુત્રોને કામ પરથી આવ્યા પછી માબાપ સાથે વાત કરવાનો સમય હોતો નથી .  ૭૦% માં બાપને તમને  શું સમજ પડે કહી ટાળવામાં આવે છે.  ૯૦%  માં બાપને સામેથી પૈસા વૃદ્ધ અવસ્થામાં   માંગવા પડે છે . શરીર સારું નથી ચાલતું  હોતું નથી. નજદીકના સગા સ્નેહીઓ, મિત્રો અને કદીક પતિ પત્નીમાંથી એક ચાલી જવાથી એકલા પડી જાય છે અને નવા નવા લોકો સાથે પારો પડે છે  એનાથી એમની તકલીફો વધી  જાય છે. 

                                                   વૃદ્ધ પ્રત્યે દરેકનો અભિગમ ખરાબ  હોય છે એમ  કહેવું યોગ્ય નથી પરંતુ એમાં અપવાદોને ગણી શકાય નહિ .  મૂળમાં તો  બુઝર્ગોને એમની વૃદ્ધાવસ્થામાં  પ્રેમ, લાગણી અને માવજતની પૈસા કરતા વધારે જરુરુયાત  હોય છે.  જે સમાજની અને કટુંબની  ફરજ બની રહે છે.

                                          ***************************************     

                                                    


Monday, January 11, 2021


 

પુણ્ય ભૂમિ ગુજરાત 

                                                    ગુજરાતની પુણ્ય ભૂમિ  હજારો સાલથી પવિત્ર થયેલી  છે. હજારો વર્ષ પહેલા ભગવાન કૃષ્ણે ગુજરાતમાં પોતાની રાજધાની દ્વારકા સ્થાપી એને પવિત્ર બનાવી દીધી હતી. આજે પણ આખી દુનિયાના હિંદુઓ જીવનમાં એકવાર એ ભૂમિના દર્શન માટે જરુર આવે છે.

                                                    મહાભારતકાળના દુર્યોધનથી તે  આધુનિક યુગના વિવેકાનંદ્દ ટાગોર , નહેરુ જેવાએ કેટલીક વાર ગુજરાતની લટાર મારી ચુક્યા છે અને અહીંથી કૈક સારી પ્રેરણાઓ લઇ ગયા છે. વિવેકાનંદને અમેરિકા યાત્રાની પ્રેરણા અને મદદ ગુજરાતમાંથી જ  મળી હતી. કોઈ પણ સદ્દવિચારને ગુજરાતે હંમેશા પ્રોત્સાહન અને મદદ આપી છે. હિન્દૂ ધર્મમાં આર્ય સમાજ દ્વારા  પરિવર્તન અને સુધારા લાવનાર દયાનંદ સરસ્વતી એ ગુજરાતની જ દેણ છે.

                                                     હિંદુત્વની ભાવનાને દ્રઢ બનાવનાર રાષ્ટ્રીય સેવક સંઘની સ્થાપના ભલે નાગપુરમાં થઇ પરંતુ એમાં નેતાગીરી, ટેકો અને નાણા પુરા પાડનાર પણ ગુજરાત છે.  ૫૫૦ થી વધારે દેશી રાજ્યોમાં વહેંચાયેલા ભારતને એક કરનાર  સરદાર પટેલ ગુજરાતની ભૂમિની ભારતને ભેટ હતી  ગાંધીજીએ ભારતને સ્વરાજ અપાવ્યું અને મહંમદ અલી ઝીંણા જેણે ભારતના ભાગલા કરાવ્યા એ બંને નેતાઓ ગુજરાતના જ હતા. એટલેકે ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા બંને ગુજરાતી હતા.  ગુજરાતે આઝાદી પછી ભારતને મોરારજી દેસાઈ  અને નરેન્દ્ર મોદી જેવા બે  પ્રખર પ્રધાન મંત્રી પણ આપ્યા છે. 



                                                      ગુજરાત પુરાણા કાલથી સમરુધ્ધ રહ્યું છે. ભારતના બધા જ રાજાઓ કે સમ્રાટો હંમેશા ગુજરાત જીત્યા  વિના પોતાની જાતને અધૂરા સમજતા. તેઓ ગુજરાતની સમરુધ્ધિથી હંમેશા આકર્ષાયા હતા. મહંમદ ગઝનવી સોમનાથને લૂંટવા આવ્યો તો અકબરે ગુજરાતવિજયના  ગર્વમાં પોતાની રાજધાની ફતેહપુર સિક્રીમાં બુલંદરવાજો  બનાવ્યો .આજ ગુજરાતની સમરુધ્ધિની ઇતિહાસિક ગાથા છે. પોટુગીઝ , ડચ , અને અંગ્રેજો પણ સુરત બંદરે ગુજરાતના સમરુધ્ધ  વેપારનો લાભ લેવા આવ્યા હતા . તે વખતે સુરત બન્દર  પર ૫૬ દેશોના ઝંડાઓ  ફરકતા હતા. આમ પણ ગુજરાતની સાહસિક પ્રજા સુમાત્રા, જાવા આફ્રિકા , મધ્ય એશિયા , અને યુરોપ સુધી પહોંચ્યા હતા. આજે પણ ગુજરાત વેપાર  અને ઉદ્યોગોમાં આગળ છે જે ગુજરાતીઓની સાહસિકતા અને વેપારી લાક્ષણિતાને  આભારી છે.  કવિ ખબરદારે લખ્યું છે ને ' જ્યા જ્યા વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતી. '



                                        ગુજરાતની ઉત્તરમાં માં અંબા વસે છે .સૌરાષ્ટ્માં જ્યોતિર્લિંગ સોમનાથ અને દ્વારકામાં ભગવાન કૃષ્ણનું  ધામ છે , મધ્ય ગુજરાતના ડાકોરમાં દ્વારકાધીશ  છે. દક્ષિણ ગુજરાતમાં તડકેશ્વર મહાદેવ જેવા પવિત્ર ધામ છે. સૌરાષ્ટ્રમાંથી  કલાપીનો કલરવ , નરસિંહ મહેતાના પ્રભાતિયાં , અને મેઘાણીના શોર્ય ગીતો આવ્યા તો ઉત્તર ગુજરાતમાંથી તાનારીરીના સંગીત નિપુણતા તો મધ્ય ગુજરાતમાંથી ગોવેર્ધનરામનો  ભવ્ય ગ્રંથ સરસ્વતીચંદ્ર  આવ્યો.  નર્મદના ' યા હોમ  કરીને પડો, ફતેહ છે આગે ' ના બુલંદ આહવાન પણ ગુજરાતને મળ્યા છે. બોટાદકરની પેલી કવિતા હજુ ગુજરાતમાં ગુંજે છે ' સાચે જ જનની જોડ જગે નહિ જડે રે લોલ. '



                                                  ગુજરાતની પુણ્ય ભૂમિમાં આજે પણ મોરારી બાપુની  અને રમેશભાઈ ઓઝાની ધાર્મિક  કથાઓ  સંભળાય.  ટાટા , અંબાણી , અદાણી અને અઝીઝ પ્રેમજી એવા ઉદ્યોગ પતિઓ આજે પણ ગુજરાતને સમૃદ્ધ બનાવી રહયા છે. નર્મદાના પાણી હવે ગુજરાતની રસાતાળ ધરતીને વધુને વધુ  ફળદ્રુપ બનાવી રહ્યા છે.  આવું છે રૂપાળું ગુજરાત -

"પશ્ચિમે ઘૂઘવાતો સાગર , પૃર્વે ગિરી માળાઓ છે 

આવું  રૂપાળું ગુજરાત જ્યાં સ્વર્ગમય દિન રાત છે

બનાસ, સાબરમતી વહે ઉત્તરે, મધ્યે નર્મદા અને મહી

દક્ષિણે તાપી અને અંબિકાએ લીલી જાજમ બિછાવી અહીં 

નરસિંહના પ્રભાતિયાઓથી  જ્યાં સૂર્યોદય થાય  છે 

કૃષ્ણ અને ગાંધીની ગાથાઓ  જ્યાં રાત દિન ગવાય છે 

પરદેશોમાં પર્વતો  સાગરો   અને ભવ્ય નદીઓ ત્યાં 

તો પણ ગુજરાતીઓના ભૂલે ગુજરાતની માટી ત્યાં"

ભારત દેસાઈ  

( અમેરિકામાં / કૅલિફૉર્નિયા ખાતે  'ગુજરાત દિવસ' ના સોવેનિયરમાં પ્રસિદ્ધ )   

                                 **********************************

Friday, January 1, 2021

 


દુઃખોનું મૂળ અને નિવારણ  

                                                                                      માનવીનું  મન  જ બધા પ્રશ્નોના મૂળમાં હોય છે. મન હંમેશા કોઈને કોઈ બાબતમાં ભમ્યા કરતુ હોય છે. એને કાબુમાં રાખવું બહુજ મુશ્કેલ છે. એના માટે આધ્યાત્મિકતાને પચાવવી જરૂરી છે. માણસ આધ્યામિકતા અપનાવેછે પરંતુ માનવીનું મન મોહમાં તણાઈને આધ્યામિકતા સાથે દગો કરે છે.  ખરેખર આધ્યમિકતાને  જીવનમાં પચાવી જનાર બહુ ઓછા હોય છે. 

                               આધ્યમિકતાને જીવનમાં સાચા અર્થમાં ઉતારવામાટે  જીવન પ્રત્યેનો અભિગમ બદલવો પડે છે. જેમાંથી દુઃખ કે પછી  કડવાશ પેદા થાય એવી વસ્તુઓમાંથી મુક્ત થવું જોઈએ. તાઓ તે ચિંગ કહે છે તેમ' જીવનમાંથી કોઈની હરીફાઈ કે પછી દેખાદેખીનો ત્યાગ કરતા શીખવું જોઈએ. જેથી પોતાની પાસે રહેલી વસ્તુઓમાંથી સંતોષ માણી શકાય  અને મનથી આનંદિત રહી શકાય.આધ્યાત્મિકતા એજ  માર્ગે જઈ શકાય .

                                જીવનમાં બનતા પ્રસંગોને પોતાની મરજી પ્રમાણે વાળવાનો પ્રયત્ન કરવો એ પ્રવાહોની સામે તરવા બરાબર છે.  એ  જીવનમાં દુઃખોની હારમાળા સર્જે છે.  આંતરિક અશાન્તિઓ પેદા કરે છે. તે ઉપરાંત જીવનમાં  કોઈ પણ તૃષ્ણાને સંપૂર્ણ રીતે સંતોષી શકાતી નથી. તૃષ્ણા એવી વસ્તુછે જો એને અંકુશમાં ન રાખવાથી  વધતી  જ જાય છે.  એ દુઃખનું મોટું કારણ બની જાય છે. આથી જીવનની જરુરુયાતોને ઓછી કરવાથી જ તૃષ્ણા પર અંકુશ આવી શકે છે. જીવનમાં દુઃખોને દૂર રાખવા માટે જે રીતે સંજોગો રાખે એ રીતે રહીને એમાં સંતોષ માનવામાં છે.  કારણકે  આધ્યામિકતા એ એક સત્ય છે એ કોઈ ફેશન નથી. 

                                  ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છેકે કોઈ પણ કામ ફળની આશા વગર નિશ્વાર્થ ભાવે કરવાથી દુઃખને દૂર રાખી શકાય છે.  કોઈ પણ કામનું પરિણામ ઈશ્વર પર છોડી દેવાથી જ પરમ સંતોષ મળે  છે. અને દુઃખને દૂર રાખી શકાય છે. મહાભારતના યુદ્ધમાં  પાંડવોનો  વિજય થયો હતો  પરંતુ  તેઓ સુખી ન હતા. કારણકે પરિણામથી તેઓ પર ન હતા. એટલે  પરમ મુક્તિ માટે એમણે હિમાલયનો માર્ગ લીધો હતો. 

                                  અધ્યામિકતાનો ખરો પરચો તો મૃત્યુ સામે આવે  ત્યારે થાય છે અને એ  ક્ષણિક હોય છે. એમાં કોઈ ગહનતા હોતી નથી . મરેલા શબને જોઈને બે ઘડી  મનુષ્ય વિચારવા માંડે છે.

 શું લાવ્યા? અને શું લઇ જવાના?

આવ્યા ત્યારે શું લાવ્યા

જતી વખતે શું લઇ જવાના 

જીવ જતા નિજીવ શરીર ભૂમિ પર ઉતારી  દેવાય  

ક્યારે અંતિમ યાત્રા શરુ એની રાહ જોવાય  

ત્યારે સમજાયું  શું લાવ્યા ને શું લઇ જવાના 

શું લાવ્યા? ---

 જીવનમાં કપટ કે  કાવાદાવાનો  શું  અર્થ 

ઈર્ષા અને  અહમનો  નાકામતાઓ સમજાઈ.

જે મેળવ્યું  તે  સાથે  નથી  આવવાનું 

ન સગા સબંધીઓ પણ   આવવાના 

ત્યારે સમજાયું  શું લાવ્યા  ને શું લઇ જવાના 

શું લાવ્યા?---

સિકંદર પણ ગયો  ખાલી હાથે  કફનમાં 

સમજાવી ગયો નથી લઇ ગયો કઈ પણ અહીંથી 

રાજ અને ખજાનાઓ  અહીં જ  ગયો મૂકી

ત્યારે સમજાયું શું લાવ્યાને  શું લઇ જવાના 

શું લાવ્યો ?

ભારત દેસાઈ 

(  અમેરિકામાં પ્રસિદ્ધ થયેલ કવિતા સંગ્રહ -'હાર્ટ બિટ્સ ' માંથી )

                                 આને સ્મશાન વૈરાગ્ય કહેવાય આધ્યમિકતા નહિ  

                                          **************************************